
રાજ્યમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું મતદાન યોજાયું હતું. સરપંચ બનવા બે વેવાણો સામસામે ફોર્મ ભર્યા હતા તો ઝાલોદના મોટીહાંડી અને પ્રાંતિજના ઝીંઝવામાં એક વોર્ડની ચૂંટણી મુલતવી રહી હતી.
Gram Panchayat Election Voting Day 2025 : રાજ્યમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ છે. કુલ 85 લાખ ગ્રામીણ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બેલટ પેપર પર સ્થાનિક નેતાના નામ આગળ સિક્કો માર્યો છે. કુલ 3,541 ગ્રામ પંચાયતોમાં સવારે 7 વાગ્યાથી લઇને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું છે. વરસાદના વિઘ્ન સાથે બે-ત્રણ ઘટના સિવાય સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું છે. આવો જોઈએ આ આજના દિવસની મતદાન સમયની 10 મોટી ઘટનાઓ.
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. વરસાદી વાતાવરણ હોવા છતાં, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યું. લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સક્રિય ભાગીદારી જોવા મળી. પોલીસ અને હોમગાર્ડના જવાનોએ વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્ત મતદારોને મતદાન મથક સુધી પહોંચવામાં અને મદદ કરવામાં સરાહનીય કામગીરી કરી, જેનાથી સૌ કોઈ સરળતાથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શક્યા.
ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી ખુબ જ રસપ્રદ બની છે, કારણ કે અહીં બે વેવાણો સામ-સામે ચૂંટણી લડી રહી છે. ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાએ પોતાની પુત્રી વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાના ઘરે પરણાવી છે. ભાવનાબેન વિનોદભાઈ નંદવાણા છેલ્લા 10 વર્ષથી સત્તા પર છે તેમની જૂની પેનલ સામે તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરા નવી યુવા પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીમાં જયાબેન ડાંગોદરાની પેનલે એક અનોખી પહેલ કરી છે. તેમણે સુરતમાં વસવાટ કરતા ગામના મતદારોને મતદાન કરવા માટે ત્રણ બસો મારફતે જૂના ઉગલા બોલાવ્યા હતા. આના પરિણામે, સુરતથી મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જૂના ઉગલા આવી પહોંચ્યા હતા. જયાબેન ડાંગોદરાએ કહ્યં કે મારી વેવાણ ભાવનાબેન નંદવાણા છેલ્લાં 10 વર્ષથી સરપંચ છે છતાં ગામનો વિકાસ નથી કર્યો માટે મારે ચૂંટણીમાં ઉતરવું પડ્યું છે. ડાબે ભાવનાબેન વિનોદભાઈ નંદવાણા અને જમણે જયાબેન નરશીભાઈ ડાંગોદરા
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં આવેલા ધામણખોબરા પ્રાથમિક શાળાના બૂથ નંબર-2 ખાતે મતદાન પ્રક્રિયામાં માથાકૂટ થતાં છેલ્લા બે કલાકથી મતદાન બંધ કરી દેવામાં આવ્યું હતું. આ માથાકૂટ દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને લગતી કેટલીક સામગ્રી ગુમ થતાં ઝાલોદના પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો. પરિસ્થિતિ વધુ વણસી જ્યારે સરપંચના 43 અને સભ્યોના 43 બેલેટ ગુમ થયા હોવાનું જણાયું. આ ગંભીર ઘટનાને પગલે મોટીહાંડીના ધામણખોબરા શાળાના બૂથ નંબર-2 ખાતે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ઝાલોદના SDM સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હવે, ગુમ થયેલા બેલેટને કારણે 24 જૂને આ બૂથ પર ફરીથી મતદાન યોજાશે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-2ની ચૂંટણીમાં બેલેટ પેપરમાં ભૂલ હોવાનું જણાતા વોર્ડ નંબર-2ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના આંબલા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા પાડલિયા ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને મતદાનથી દૂર રહ્યા છે. ગામમાં વિકાસ ન થવાને કારણે અને અલગ ગ્રામ પંચાયતની માંગણી સાથે ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે. પાડલિયા ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા ધવલ પટેલના જણાવ્યા અનુસાર, પાડલિયા ગામમાં કુલ 1040 મતદારો છે, જેમાંથી સવારના સમયે માત્ર 16 મતદારોએ જ મતદાન કર્યું હતું.
વડોદરાની દશરથ ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાર યાદીમાં મોટા છબરડા સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ગામના સભ્યો અને સરપંચોને આપવામાં આવેલી યાદીમાં મતદારોના નામ છે અને મતદારોને ઘરે ઘરે સ્લીપો પણ મળી છે. જોકે, જ્યારે મતદારો મતદાન કરવા બૂથ પર પહોંચ્યા, ત્યારે ત્યાં બેઠેલા અધિકારીઓ પાસેની યાદીમાં તેમના નામ નહોતા, જેના કારણે તેઓ મતદાનના અધિકારથી વંચિત રહ્યા. આશરે 30 થી 40% મતદારોને મતદાન કર્યા વિના ઘરે પાછા ફરવું પડ્યું, જેની સીધી અસર ચૂંટણીના પરિણામ પર પડશે.
ભાવનગરના ફરિયાદકા બુથ પર બોગસ મતદાન થયાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. જોકે, આ મામલે અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે જે વ્યક્તિ મતદાન કરવા ગયા હતા તે સ્વેચ્છાએ પાછા આવ્યા હતા અને તેમનો નંબર 146 હતો, જે ભૂલથી 145 નંબર પર માર્ક થઈ ગયો હતો. અધિકારીના મતે, આ કોઈ બોગસ મતદાનનો મામલો નથી, પરંતુ ગ્રામજનોની જાગૃતિને કારણે આ ભૂલ ધ્યાનમાં આવી હતી.
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હિંસક ઘટનાઓ સામે આવી છે. ગોધરા તાલુકાના ધાણીત્રા ગામે સરપંચ પદના ઉમેદવાર લીલાબેન કુંદનસિંહ પરમારના પુત્ર વનરાજસિંહ પરમાર પર હુમલો થયો છે. ગઈકાલે સાંજે ગોધરાથી પરત ફરતી વખતે તેમના જ ગામના દિગ્વિજયસિંહ ચૌહાણ, સાવનકુમાર અને અન્ય ચાર અજાણ્યા ઇસમોએ તેમની ગાડી રોકી માર માર્યો હતો. બીજી ઘટનામાં, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વણીયાદ ગામમાં સરપંચ પદના ઉમેદવાર સૌરભ ત્રિવેદી પર વહેલી સવારે હુમલો થયો. આશરે 12 જેટલા અસામાજિક તત્વોએ તેમની કારને આંતરી, પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા, જેમાં સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બંને ઘટનાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન વધી રહેલી હિંસા દર્શાવે છે.
મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ડાયમંડનગર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન એક બનાવ બન્યો હતો. બુથ પાસે બેઠેલા એક ઉમેદવારને પોલીસે બહાર જવાનું કહેતા તેમની વચ્ચે રકઝક થઈ હતી, જેના કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને હાલમાં મતદાન રાબેતા મુજબ ચાલુ છે.
મહીસાગર જિલ્લામાં મતદાન કરવા જઈ રહેલા લોકોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. અમદાવાદથી દાહોદ મતદાન કરવા જઈ રહેલા લોકોની તુફાન કાર અને ટ્રેલર વચ્ચે સંતરામપુર બાયપાસ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તુફાન ગાડીમાં સવાર તમામ લોકો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વજીલા અને દાદગઢ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સંતરામપુર જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સંતરામપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવક ડૂબ્યા હોવાની બાબતે કેનાલ પાસે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. ત્રણેય યુવક 18 થી 20 વર્ષની વયનાં છે અને 3 પૈકી બે યુવાન ટીંબાના મુવાડાનાં હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુવકોની શોધખોળ હાથ ધરી છે, જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.